એક આત્મખોજ
મારી કલમ જ્યારે જ્યારે કાગળ પર ઉતરે છે, ત્યારે ઘણીવાર એ શબ્દો નથી હોતા, પણ મારા અંતરનો એક ચિત્કાર હોય છે. આજે મારે મારી જ આ બે પંક્તિઓ વિશે થોડી વાત કરવી છે, જે કદાચ તમારા દિલના કોઈ ખૂણે પડેલી ઉદાસીને સ્પર્શી જશે:
મેં શ્વાસના ઉંબરે જીવવાની છેલ્લી કરગણ રોકી દીધી છે,
મેં અંધારાને જ ઓઢીને મારી ઓળખાણ રોકી દીધી છે.
જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે માણસ દલીલોથી, અપેક્ષાઓથી અને ખુદ નસીબ સામેની લડાઈથી થાકી જાય છે. 'શ્વાસના ઉંબરે જીવવાની છેલ્લી કરગણ' રોકી દેવી એટલે શું? એનો અર્થ એ નથી કે જીવન ટૂંકાવી દેવું, પણ એનો અર્થ એ છે કે હવે મારે કોઈની પાસે ભીખ નથી માંગવી—ન પ્રેમની, ન સમયની, ન જીવવાની કોઈ આશાની. જ્યારે દુનિયા તમારા અસ્તિત્વની કદર કરવાનું ભૂલી જાય, ત્યારે ખુદને સાબિત કરવાની એ આખરી કોશિશ પણ મેં હવે થંભાવી દીધી છે. મેં વિધાતા પાસેની એ કરગણ, એ આજીજી હવે બંધ કરી દીધી છે.
બીજી પંક્તિમાં એક ગજબનો સંતોષ અને સ્વીકાર છે. 'અંધારાને જ ઓઢી લેવું'એટલે દુનિયાના દેખાડાના અજવાળાથી દૂર થઈ જવું. લોકો ઘણીવાર પોતાની ઓળખાણ બનાવવા માટે આખી જિંદગી દોડતા રહે છે, પણ મેં મારી એ દોડ રોકી દીધી છે. મેં નક્કી કર્યું છે કે હવે મારે કોઈને દેખાવું જ નથી. જ્યારે અજવાળું આપણને દઝાડવા લાગે, ત્યારે અંધારું જ શાંતિ આપે છે. મેં એ નિરવ શાંતિને જ મારો લિબાબ (વસ્ત્ર) બનાવી લીધો છે.
આ પંક્તિઓ એવા હૃદયની વ્યથા છે જેણે દુનિયાની ભીડમાં ખોવાઈ જવા કરતાં, પોતાના એકાંતમાં ઓગળી જવાનું પસંદ કર્યું છે. હવે મારે કોઈ ઓળખની જરૂર નથી, કારણ કે મેં શૂન્યતાને સ્વીકારી લીધી છે.
"જ્યારે આજીજીઓ મૌન બની જાય અને અંધારું આશરો બની જાય, ત્યારે સમજવું કે વ્યક્તિત્વ હવે શબ્દોથી પર થઈ ગયું છે. મારી કલમે લખાયેલું એક મૌન...
~ jigarshayar ✍️
Comments
Post a Comment